અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય છંદ અને છંદના પ્રકાર (Chhand information) વિશે માહિતી આપી છે.
છંદ અને છંદના પ્રકાર | Chhand or That types In Gujarati
છંદ એટલે શું?
➝ કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.
➝ કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. ટૂકમાં, ‘માધુર્ય’ અને લય સર્જવા માટે દરેક પંક્તિમાં અક્ષરોની અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેને છંદ તરીકે ઓળખવામાં આવે છે.
➝ સંસ્કૃતમાં છંદોને વૃત અને જાતિ એવા બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. ગુજરાતીમાં વૃત ને અક્ષર મેળ છંદ અને જાતિ ને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે.
છંદના પ્રકાર :
છંદને ત્રણ ભાગમાં વહેંચી શકાય.
- અક્ષરમેળ છંદ (રૂપમેળ)
- માત્રામળ છંદ
- લયમેળ છંદ
1. અક્ષરમેળ છંદ (રૂપમેળ):
તેમાં પ્રત્યેક ચરણ ચોક્કસ અક્ષરોનું બનેલું હોય છે. તેમાં અક્સરોની ગણતરી કરવાની હોય છે. તેમાં પૃથ્વી, હરિણી, મંદાક્રાંતા, ઉપજાતિ વગેરે છંદોનો સમાવેશ થાય છે.
2. માત્રામળ છંદ:
તેમાં પ્રત્યેક ચરણની માત્રાઓ નિશ્ચિત થયેલી હોય છે અને તેમાં આ માત્રાઓની ગણતરી કરવાની હોય છે. આવા છંદને માત્રામેળ છંદ કહે છે. તેમાં દોહરો, ચોપાઈ, સવૈયા, ઝૂલણા વગેરે છંદોનો સમાવેશ થાય છે.
3. લયમેળ છંદ:
તેમાં અક્ષર કે માત્રાઓની ગણતરી નહીં પરંતુ તેમાં રહેલા લયને આધારે તેને ઓળખવામાં આવે તેને લયમેળ છંદ કહે છે. આવા છંદો લોકગીતો અને પદોમાં જોવા મળે છે.
છંદ ઓળખવા માટે કેટલાક શબ્દોની સમજૂતી:
1. લઘુ અક્ષરોઃ
ઉચ્ચારણ કરતી વખતે ઓછો સમય લાગે તેવા તે અક્ષર. તેના માટે ‘લ‘ વર્ણ અને ‘U‘ અર્ધચંદ્રાકારની નિશાની ઉપયોગમાં લેવાય છે. લઘુઅક્ષર જેવા કે – અ, ઈ, ઉ, ઋ, ક, કિ, કુ, કૃ… વગેરે છે.
2. ગુરુ અક્ષરોઃ
ઉચ્ચારણ કરતી વખતે વધુ સમય લાગે તેવા દીર્ઘ અક્ષર. તેના માટે ‘ગ‘ વર્ણ અને ‘-‘ ની નિશાની ઉપયોગમાં લેવાય છે. ‘આ’, ‘ઈ’, ‘ઊ’એ’ઓ’ઐ, ઓ, ઔ, યા, યી, યૂ, યે, યૈ વગેરે… દીર્ઘ સ્વરો છે.
જોડાક્ષરનો નિયમ:
જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. (સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ) સિ,ખિ,જુ,વિ,બુ,લુ,જિ,સ,ઉ – વગેરે અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.
આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે. પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુ અક્ષર લઘુ જ ગણાય છે.
અનુસવારનો નિયમઃ
જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ – પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર
વિસર્ગનો નિયમઃ
વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. (નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ નિઃસંતાન) પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.
- પદ-ચરણ: છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.
- યતિ: પંક્તિમાં માત્રાની વચ્ચે અટકીએ તેને યતિ કહેવાય છે.
- તાલ : છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.
- માત્રા : માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.
- ગણ: લઘુ ગુરુ અક્ષરોના ત્રણ ત્રણના આઠ સમૂહો, આ યાદ રાખવા માટે ‘યમાતારાજભાનસલગા‘ નું સૂત્ર છે. સૂત્રના પ્રથમ ત્રણ અક્ષર લેવાના, પછી તે પછીના ત્રણ અક્ષર લેવાથી ગણ બને છે.
માત્રામેળ છંદોમાં ઉપરની વ્યવસ્થા લાગુ પડતી નથી.
છંદ ઓળખવાની રીત:
- સૌ પ્રથમ અક્ષરોની ગણતરી કરો.
- જો અક્ષરમેળ છંદ હોય તો જે-તે પંક્તિને ઉપરના બોક્સ મુજબ ત્રણ ત્રણ ગણમાં વહેંચવી. ખ્યાલ આવી જશે.
- માત્રામેળ છંદ હોય તો માત્રાઓ ગણવી પડશે. ત્યાર બાદ તેનો સરવાળો કરો. કુલ માત્રાઓ અને કેટલાં ચરણ છે તેની ગણતરીના આધારે માત્રામેળ છંદ ઓળખાઇ જશે.
અક્ષરમેળ છંદ (રૂપમેળ) :
અક્ષરમેળ છંદ પ્રકારમાં નીચે આપેલા 16 છંદો નો સમાવેશ થાય છે.
1. ઈન્દ્રવ્રજા :
અક્ષરની સંખ્યા : 11
સૂત્ર : તતજગાગા
ઓળખ : 1,2,4,5 ગુરુ
યતિ : અંતે
ઉદાહરણ :
– ઇલા કદી હોય સદા રજા જો મૂકું ન આ ખેતરની મજા તો
2. ઉપેન્દ્રવજ્રા :
અક્ષરની સંખ્યા : 11
સૂત્ર : જતજગાગા ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : અંતે
ઉદાહરણ :
ભરો ભરો માનવમાં ઉરોને ઉત્સાહને ચેતન પૂર રેલી.
3. ઉપજાતિ :
અક્ષરની સંખ્યા : 11 + 11
સૂત્ર : – ઓળખ : આ છંદમાં એક પંક્તિ ઈન્દ્રવ્રજા અને એક પંક્તિઉપેન્દ્રવજ્રાની આવે છે.
યતિ : અંતે
ઉદાહરણ :
– સજાવવા ચપ્પુ છરી કહી તો ને તેહની પાછળ બાળ તેનો
4. તોટક :
અક્ષરની સંખ્યા : 12
સૂત્ર : – સસસસ ઓળખ : 1,2,4,5 લઘુ
યતિ : પંક્તિના અંતે
– પ્રભુ જીવન દે, હજી જીવન દે વદને બહુ નીર ભરાય સખે!
5. ભુજંગી :
અક્ષરની સંખ્યા : 12
સૂત્ર : – યયયય ઓળખ : 2,3,5,6 ગુરુ
યતિ : પંક્તિના અંતે
– ભલો દૂરથી દેખતાં દિલ ભાવ્યો, પડી જેમ આકાશમાં મેંઘ આવ્યો
6. વંશસ્થ :
અક્ષરની સંખ્યા : 12
સૂત્ર : – જતજર ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : પંક્તિના અંતે
– ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને
7. વસંતતિલકા :
અક્ષરની સંખ્યા : 14
સૂત્ર : – તભજજગાગા ઓળખ : 1,2 ગુરુ
યતિ : પંક્તિના અંતે
– અશ્રુ હતું હૃદયમાં નયણે ન આવ્યું, શબ્દો હતા મન મહીં ફરક્યા ન હોઠે.
8. માલિની :
અક્ષરની સંખ્યા : 15
સૂત્ર : – નનમયય ઓળખ : 1 થી 6 લઘુ
યતિ : 8 અક્ષરે
– સરસ સરલ વાક્યે ચોરતી ચિત્ત પ્યારી, ચરણ સુવરણેથી સોગુણી કાન્તિ ધારી.
9. મંદાક્રાંતા :
અક્ષરની સંખ્યા : 17
સૂત્ર : – મભનતતગાગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : ચોથા અને દશમા અક્ષરે
– રે હૈયું આ અજબ સુખ એ દેખશે હાય! ક્યારે?
10. શિખરિણી :
અક્ષરની સંખ્યા : 17
સૂત્ર : – યમનસભલગા ઓળખ : બીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અક્ષરે દૂઢ અને બારમા અક્ષરે કોમળ
– હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો.
11. પૃથ્વી :
અક્ષરની સંખ્યા : 17
સૂત્ર : – જસ જસ યમલગા ઓળખ : 1-લઘુ 2-ગુરુ 3-લઘુ
યતિ : આઠમા કે નવમાં અક્ષરે કોમળ
– ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂદી વળો
-કદી નહિ કહું, મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે
12. હરિણી :
અક્ષરની સંખ્યા : 17
સૂત્ર : – નસમરસલગા ઓળખ : ત્રીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અને દશમા અક્ષરે
– પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી
13. શાર્દૂલવિક્રિડિત :
અક્ષરની સંખ્યા : 19
સૂત્ર : – મસ જસ તતગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : બારમા અક્ષરે
– મીઠો છે રસભાઈ, શેલડી તણો એવું દયાથી કહી
– ભૂલોની જ પરંપરા જગત આ, એવું દીસે છે પિતા
– ઊગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા
14. સ્ત્રગ્ધરા :
અક્ષરની સંખ્યા : 21
સૂત્ર : – મરભનયયય ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : સાતમા અને ચૌદમા અક્ષરે
– ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય.
– ઝંઝાવાતે ઘુમાવી અનલ વિત્તળ સૌ એક આકાશ દીધું
– રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે.
15. મનહર :
અક્ષરની સંખ્યા : 31
સૂત્ર : – મસ જસ તતગા ઓળખ : 5મો અક્ષર ગુરુ
– ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
16. અનુષ્ટુપ :
અક્ષરની સંખ્યા : 32
સૂત્ર : – કુલ ચરણ 4 ઓળખ : 1 અને 3 ચરણ (લઘુ,ગુરુ,ગુરુ), 2 અને 4 ચરણ (લઘુ-ગુરુ-લઘુ)
ઉદાહરણ :
– વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ.
નહીં નાથ નહીં નાથ, ન જાણે કે સવાર છે.
– બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલાનું, સૂતેલાનું સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
માત્રામેળ છંદ :
[ લઘુ અક્ષર= 1 માત્રા, ગુરુ અક્ષર= 2 માત્રા ]
1. ચોપાઈ :
માત્રા : દરેક ચરણમાં 15 માત્રા
ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : પ્રત્યેક ચરણના અંતિમ બે વર્ણો ગુરુ અને લઘુ
– એક મુરખને એવી ટેવ, પથ્થર એટલાં પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
– લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ
– ઘીનો દીવો રાણો થાય, અગરબત્તી આછી પમરાય, ઘડીક થાતાં બત્તી બંધ, ગગન ફૂલોની પીગળે ગંધ.
2. દોહરો :
માત્રા : 24 માત્રા, 13+11, 13+11
ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : પહેલા અને ત્રીજા ચરણમાં-13, બીજા અને ચોથા ચરણમાં-11
– દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ
– કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, વણ તૂટેલ તાંતણે, ઉપર ચડવા જાય
3. દોહરો :
માત્રા : 28 માત્રા
ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ
– ભુલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિં
– જે પોષતું એ મારતું, શું ક્રમ નથી એ કુદરતી?
4. સોરઠો :
માત્રા : 24 માત્રા
ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : 1લા અને 3જા ચરણમાં 11 અને 3જા અને 4થા ચરણમાં 13 માત્રા
– વહાલાં તારાં વેણ, સ્વપ્નમાં પણ સાંભરે, નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠા ફારબસ
– ઓ તરસ્યાં બાળ! રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી.
5. ઝૂલણાં :
માત્રા : 37 માત્રા
ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ (નરસિંહ મહેતાનો પ્રિય છંદ)
– નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે. – આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી.
– જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે?
6. સવૈયા :
માત્રા : 31 કે 32 માત્રા ચરણ: – કુલ ચરણ 4 ઓળખ : જો ૩૧હોય તો એકત્રીસા અને ૩૨ હોય તો બત્રીસા કહેવાય.
– અંતરની એરણ પર કોની હથોડી ચેતન રૂપ?
– ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન
– પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
7. કટાવ :
માત્રા : ચરણ કે માત્રા નિશ્ચિત નથી ચરણ: – ચરણ કે માત્રા નિશ્ચિત નથી ઓળખ : ચાર ચાર માત્રાના આવર્તનો હોય છે.
– હમણાં હમણાં એમ થાય કે આભ ભરી આ વાદળીઓને વાળીઝૂડી લાવ જરા આળોટું.
– ધીમેધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.